એક સ્વાનુભવ
સવારના દસેક વાગ્યા હશે. હું એક ભારતીય ગ્રોસરી સ્ટોરના પાર્કીંગમાં સ્ટોર ખુલવાની રાહ જોઇને બેઠો હતો. ગાડીમાં બેસીને મારા ગમતા પુસ્તક ‘વીણેલાં ફુલ’ ના એક ભાગની વાર્તા વાંચી રહ્યો હતો. વાર્તા બહુ જ કરુણ હતી. સમાજના કહેવાતા ઉજળીયાત અને ઉચ્ચ લોકોની લઘુતાનું વર્ણન હતું. અને સામાજીક રીતે સાવ નાના માણસની માણસાઇ ઉજાગર થતી હતી.
વાર્તાના કથાવસ્તુથી મન ક્ષુબ્ધ થઇ ગયું હતું. ત્યાં મેં સ્ટોરના બારણે બે ત્રણ લોકોની હીલચાલ જોઇ. હવે સ્ટોર ખુલશે એ આશાએ મેં ગાડીનું બારણું લોક કર્યું અને સ્ટોર તરફ જવા નીકળ્યો. તરત જ ખબર પડી કે ચાવી તો ગાડીની અંદર જ રહી ગઇ હતી. બધા બારણા ખટખટાવી જોયા. પણ બધા બરાબર બંધ હતા. મારું રહેઠાણ 26 માઇલ દુર હતું. હવે?
પેલા ઉભેલા ભાઇઓ પાસે પહોંચ્યો. મારી વીતક સમજાવી. તેમાંના એક, મેક્સીકોના ડેનીયલે કહ્યું ” ચીંતા ન કરો. કદાચ હું તમને મદદ કરી શકીશ.” બાજુના એક નાના સ્ટોરમાં જઇ કપડાં લટકાવવાનું હેન્ગર અમે લઇ આવ્યા. દ્સેક મીનીટની મથામણ બાદ ડેનીયલે ચાવી કાઢી આપી.
કઇ રીતે ચાવી નીકળી તે અગત્યનું નથી, પણ ડેનીયલે અમારી વાતચીત દરમીયાન કહેલા શબ્દો મારા ચીત્તમાં વજ્રલેપ થઇ ગયા છે.
ડેનીયલે અમેરીકન લશ્કરમાં કામ કરેલું હતું અને વીયેટનામ યુધ્ધની ભયાનકતાઓ અનુભવેલી હતી. તેણે કહ્યું હતું ” મુશ્કેલી તો જીવનમાં આવે. પણ એ વખતે કદી આશા ન છોડવી અને ધીરજ રાખવી. પરીસ્થીતી જ આપણને ઉકેલ બતાવી દેતી હોય છે - આપણે આંખ અને કાન ખુલ્લા રાખીએ અને મનને વીક્ષુબ્ધ ન થવા દઇએ તો. “



